ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 14 ડિસેમ્બર, 2021

સોનલબીજ : ચારણોનું નવું વર્ષસોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?


સોનલબીજ : ચારણોનું નવું વર્ષ

સોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?

શ્રી મોરારીબાપૂ મજાદરની કથામાં ચૌદ રત્નો ગણાવે તો એમાં આઈ સોનલનું એક નામ લેવું પડે... મઢડા ને "સોનલ તીર્થ" તરીકે ઓળખાવે ત્યારે એક ચારણ તરીકે છાતી ગજ ગજ ફૂલે એ સ્વાભાવિક છે...

સમાજ જયારે અંધકારમાં ઘેરાયો હતો..ઘોર નિંદ્રામાં હતો ત્યારે આ શક્તિનું અવતરણ થયુ એ યુગશક્તિનું જ અવતરણ છે. 

"ચારણો એક બનો નેક બનો"  નો સંદેશ આપી અદેખાઈ અને ઈર્ષાના , વાડા અને પહડાનાં ભેદનાં છેદ ઉડાડવાની અને એકતા જગાડવાની જહેમત ઉઠાવી.  અને આજે જૂનાગઢ,ભાવનાગર,રાજકોટ, કચ્છ, અમદાવાદ, જામનગર લગભગ તમામ જગ્યાએ સમૂહ લગ્ન કે ચારણ બોર્ડિંગ છે .  જે સંગઠનનાં સંસ્કારનું ખાતમુહર્ત આઈમાંએ કર્યું હતું.     

વ્યસન અને પરમાટી જેવા રજવાડી શોખની ખાઈમાં કેટલાયની જમીન જાગીર તળિયા જાટક થતી જતી હતી... તો કેટલાક ની દીકરીના રૂપીયા આપવામાં, તો કેટલાકની જુગારની જપટે ચડી જતી હતી .. તો કેટલાકની કાવા કસુંબાની ખરલે ઘોળાઈ ને ચોપટ થઈ રહી હતી... તો કેટલાકે તો  દારૂની કોથળીમાં ફળી સુધી વહેંચી માર્યું.  આવા તો કેટલા દુષણો મધ્યયુગથી ઘર કરી ગયા હતા. જેને જડમૂળથી કાઢવા ઘરે ઘરે નેહડે નેહડે જવું અને પાણા ને માણહ   બનાવવાનું અને જ્ઞાનની ગંગા ઉતારવાનું ભગીરથ કાર્ય  યુગશક્તિ સિવાય અશક્ય હતું.

આટ આટલા અંધકારમાં જીવતા લોકોને સુધારવા જવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું.. આ બધા દુષણો ડામવા આઈમાં એ શિક્ષણ જેવું વેધક હથિયાર હાથમાં ધારણ કર્યું... આઈમાની દીર્ઘ દ્રષ્ટિ અને સમાયાનુકુલિત દ્રષ્ટિકોણમા રહેલી સુઝબુઝ ને સમજવામાં આજેય આપણી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ ટૂંકા પડે.. 

આઝાદી પછી જે કામ સરકારે કરવાનું હતું એ કામ આઇમાં એ કર્યું કદાચ આ નોંધ સરકારે લીધી નથી. રવીશંકર મહારજ જેવા ધુરંધર આઈમાંનાં અભિયાનની નોંધ લીધી હતી અને કન્યા કેળવણી માટે ભલામણ કરી હતી. મધર ટેરેસા ને એવોર્ડ મળે તો આઈમાંને કેમ નાં મળે સહજ રીતે મનને સવાલ થાય.. આ અભિયાનની અસર માત્ર ચારણ સમાજ ઉપર જ નહિ પણ મેર,મૈયા, કાઠી, આહીર, રબારી,સોની,ખારવા, ક્ષત્રિય જેવા બધા સૌરાષ્ટ્ર અને કચ્છના સમાજ ઉપર થઈ હતી.

એટલું જ નહી પણ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ  દોરા,ધાગા ,ધૂણવું જેવી કેટલીય ખોટી માન્યતાનો વિરોધ કર્યો. સમાજના લોકો ને શિક્ષણના માર્ગે દોડતો કરવા ઘરે ઘરે જઈને સૌરાષ્ટ્ર કચ્છ અને નિમાડ સુધી યાત્રા કરી સીધો વ્યક્તિગત સંપરક કર્યો. સંમેલન કરીને છૂટો છવાયો અને વેરવિખેર સમાજ એક મંડપ નીચે બેસાડી દીધો. 

કેટલાય કુરિવાજો ઉધઈની જેમ કોરી ખાતા હતા ..લાજ, વિધવાવિવાહ, કન્યા કેળવણી , દીકરીના રૂપીયા લેવા, અપઇયા, જેવા ઘણા કુરીવાજ સામે સવાલ ઉઠાવ્યા... 

આ કાર્યમાં સમાજનો સમજદાર વર્ગ દુલાભાયા કાગ,મેરુભા, પિગલશી ભાઈ, કાનજીભાઈ, લાખાભાઈ ,મનુભાઈ વગેરે જોડાયા..તેમને સાથે લીધા અને આમ એકવીસમી સદીમાં જીવન જીવવા માટેની તાલીમ કહો કે સંસ્કાર શીખવાડી સમાજને સભ્ય બનાવ્યો...સ્વમાન જગાડ્યું.... સરસ્વતીના ઉપાસકો ને ખરા અર્થમાં ઉપાસના શીખવાડી.. જીવન જીવવાની તરાહ બદલી નાખી... સમય થમ્ભી ગયો હતો. ચારણો  ઘોર નિંદ્રામાથી જગાડી આજના સમય સાથે ચાલતા શીખવ્યું.. એટલા માટે  આઇમાં નો જન્મ દિવસ એ ચારણો નવું વર્ષ છે. કારણ કે ત્યાંથી સમાજનાં ઇતિહાસે વળાંક લઈને સોનલ ચીંધ્યા માર્ગે ભણી પગલા માંડ્યા છે... એટલું જ નહિ પણ સમૃદ્ધિનાં શિખર સર કર્યા છે...માટે  મને ગમતો એક દુહો કઈ વિરમું છું .. જય સોનલ...સોનલ સ્મરણ, સોનલ શરણ.

પાખો આપી પરમેંશ્વરી, 
તે ઉડતા કર્યા આઈ,
સાથે રઈ સાચી દિશા 
સુચવજે હવે સોનબાઇ.
- અજ્ઞાત

- ગઢવી જયદીપ કે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...