ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

ભજન સમ્રાટ નારાયણનંદ સરસ્વતી (નારાયણ સ્વામી)

 ભજન સમ્રાટ નારાયણનંદ સરસ્વતી (નારાયણ સ્વામી) 


પ.પુ. સંત શ્રી નારાયણનંદ સરસ્વતીજી નું જીવન દર્શન જન્મ તારીખ : અષાઢ સુદ બીજ , વિક્રમ સંવત ૧૯૯૪ તારીખ ૨૯-૦૬-૧૯૩૮ બ્રહમલીન : ૧૬-૦૯-૨૦૦૦ રવિવાર બાળપણનું નામ : શકિતીદાન મહિદાનજી લાંગાવદરા પિતાજીનું નામ : શ્રી મહિદાનજી લાંગાવદરા માતાજીનું નામ : શ્રી જીવુબાબેન લાંગાવદરા અભ્યાસ : ૨ ધોરણ સુધી ગુરુજી નું નામ : પ.પૂ. શ્રી , સરધાર ના મહાન સંતશ્રી હરીહરાનંદજી બાપુ કાઠીયાવાડ ના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાં ની દેરી છે . ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રીમહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજીને ભજન , છંદ , દુહા બોલવાનો શોખ હતો . તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા હતા . દરેક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા , ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાંને અનોખો ભક્તિ ભાવ હતો . આવા પવિત્રહૃદયી પુણ્યાત્માઓ ને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૪ નો અષાઢ સુદ - બીજ તા . ૨૯-૬-૧૯૩૮ નો એક તેજસ્વી બાળકનો જન્મ થયો . તેનું નામ શક્તિદાન રાખવામાં આવ્યું . પૂર્વ જન્મમાં કરેલા સુકમનો વારસો અને આ જન્મના પુણ્યશાળી માં - બાપના આચરણથી બાળક શક્તિદાનની શક્તિને પ્રેરક બન્યા . બાળક શકિતદાનનું થોડું નાનપણ સૌરાષ્ટ્રના ચિતલ પાસે ભેલા ભીલડી ગામમાં પસાર થયું . શક્તિદાનજીએ બે ધોરણ સુધી અભ્યાસ કર્યો . ત્યારથી જ તેઓને સંત સમાગમ ખુબ જ ગમતો . ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઈલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર છે . ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા બાલાનંદજી બ્રહ્મા સારી રહેતા તેમનું તપ અજોડ હતું . બ્રહ્મચારીજી એક જ વખત દૂધ અને બટેટા ની ભાજી લેતા . તે વખતે વખતે બાળ શક્તિદાનની ઉમર ૮ વર્ષની હતી . તેઓ દરરોજ માં પાસેથી દૂધ લઇ મહાત્મા પાસે આશ્રમે જતા . બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન દરરોજ ભજન છે દ બોલતા તેથી તેમને આનંદ આવતો , શક્તિદાને ૪,૫ વર્ષ સુધી ત્યાં જવાનું ચાલું રાખ્યું . આ સમય દરમ્યાન આઈ જાનબાઈમાંની દેરીમાં જ દેરડી ના નાથા ભગતે નર નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવા મહોત્સવ કર્યો . આ વખતે અનેક સંત સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું . સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું .


ઈ.સ. ૧૯૪૯ નાં જુન મહિનામાં શક્તિદાનજી ને સંત શ્રી હરિહરાનંદજી નાં દર્શન થયા . પહેલા જ દર્શનમાં જુની ઓળખાણ કે સબંધ હોય એવો અરસ પરસ ભાવ થયો . ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યો . સંત શ્રી રામદાસબાપુએ શક્તિદાનજીનો પરિચય કરાવ્યો , અને કહ્યું . આ છોકરો ભજન બહુ સારા બોલે છે . તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે શક્તિદાનજી ચાર ભજન બોલ્યા , સરધાર ગામ મા હરિહરાનંદ આશ્રમ આવેલ છે . તેમાં ધારેશ્વર મહાદેવનું તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સન્યાસાશ્રમ છે . સંત શ્રી હરિહરાનંદજી ની તપસ્યા અને સાધના અપ્રતિમ હતી . દશ વર્ષ સુધી તેઓએ માત્ર લીંમડાનાં પાદડાનો રસ અને છાસ પી સાધના કરી . ત્યાર બાદ તેઓ હમેશા થોડી ખીચડી અને બટેટાની ભાજી લેતા . સંત શ્રી હરિહરાનંદજીના આમંત્રણથી શક્તિદાનજી સરધાર ગયા . ત્યાનું વાતાવરણ સંત સમાગમ શક્તિદાનજી ને બહુ ગમી ગયું . તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષની હતી . દરરોજ આશ્રમમાં સંતવાણી થાય . ત્યાં તેઓ ૧૫ દિવસ રોકાણા . એમને પાછા ઘરે જવાની ઈચ્છા નહોતી પણ માં અને બાપુજીના આગ્રહથી જવું પડ્યું . શ્રી હરિહરાનંદજી બાપુનું જન્મ સ્થળ હલેન્ડા તે સરધારથી ૬ માઈલ દુર આવેલ છે . હલેન્ડા ના આહિરો હરિહરાનંદજી બાપુના મહાન સેવકો ખાસ તો મેણંદભાઈ જળ તેમની સતત સેવામાં હતાં . સંત શ્રી હરિહરાનંદજી બાપુ મહાદેવ - બીજ થી મહાવદ અગીયાર સુધી જુનાગઢથી સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતો . બાપુના આગ્રહથી શક્તિદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા . શક્તિદાનજી જ્યારે હરીહરાનંદજી બાપુના આશ્રમમાં હતાં . ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઈચ્છા છે . માટે હવું તે લગ્ન કરી નાખ . બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય , ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા સાથે લગ્ન થયા . જોગમાયા સમા એમના માતાજી જીવુબાબેન અને પિતા મહીદાનજીને અતિ આનંદ થયો . સમય વીતતા શક્તિદાનજી ને ત્યાં ચંદનબા નામે પુત્રી અને હરેશભાઈ તેમજ હિતેશભાઈ નામે બે પુત્રોનો જન્મ થયો . શકિતદાનજી ભજન તો બોલતા પણ હાર્મોનિયમ અને તબલા કોઈ બીજા વગાડતા ગુંદાળામાં જીવણ બીજલ રબારી રહેતા.એ ઘણાં સારા ભજન બોલતાં . તેઓ સુરદાસ પણ હતો . તેમણે શકિતદાનને “ જાગો જલારામ વીરપુર નિવાસી ” એ પેટી માથે શીખડાવ્યું . ત્યારબાદ સુરદાસજીનું હાર્મોનિયમ પોતાના ઘરે લઈ જતા અને આપ મેળે શીખતા . એક વખત હરિહરાનંદજીએ શક્તિદાનજીને કહેલું “ જા તારી શક્તિ ખુબ ખીલશે ” ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઈ . અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા.શ્રી હરિહરાનંદજી બાપુ પાસે કેટલાક એવી વાતો કરવા લાગ્યા કે શક્તિદાન ડાયરા કરે છે . ભજનના કાર્યક્રમ રાખે છે . ઘણું કમાય છે . આવી વાતો સાંભળતા શક્તિદાનજીને ઘણું દુ : ખ થાય અને કહેવું પડે એનાથી પહેલા જ શક્તિદાનજીએ બાપુને કહ્યુ “ બાપુ હું હલેન્ડા છોડવા ઈચ્છું છું . મને રજા આપો એવી મારી વિનંતી છે . હરિહરાનંદજીએ સરધારાવાળા વીરચંદ સોનીને ભલામણ કરી સરધારમાં ઓરડી ભાડે અપાવી

ત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા . ૧૯૬ ર માં સુનભાની ગાડીમાં ડ્રાઈવિંગ શીખી લાયસન્સ કઢાવ્યું . તેઓ પટેલ ફીલ્ડ માર્શલની ગાડી ચલાવતા . ત્યારે અમુક સમય સુધી શક્તિદાનજી હરિહરાનંદજી પાસે ગયા નહોતા . રાજકોટ નિવાસી સોઢા શેઠ ભજનના બહુ પ્રેમી તેમના પત્ની ધનલક્ષ્મીબેને સમાચાર આપ્યા કે “ પૂ . હરિહરાનંદજી બાપુ આજે દેવ થયા . " આ સાંભળતા જ શક્તિદાનજી ને ભયંકર આચકો લાગ્યો . તે તરત જ હલેન્ડા ગયા , બાપુના દર્શન કર્યા . તે વખતે વિચાર આવ્યો . “ આવા પુરૂષોને પણ જવું પડે છે . આપણે શું હિસાબમાં ” ? હરિહરાનંદજીનાં દેવ થયા પછી શક્તિદાનજીની તબીયત લથડવા લાગી હરિહરાનંદજી બાપુ શક્તિદાનજી ને કહેતા “ નારાયણ સાધુ થઇ જા ભગવા પહેરી લે ” ત્યારે શક્તિદાનજી કહેતા “ મારામાં કમાવાની ત્રેવડ છે , " અને ખરેખર ગુરુબાપુના દેવ થયા પછી શક્તિદાનજીને વૈરાગ્ય લાગ્યો . ગુરુ બાપુના દેવ થયા પછી શક્તિદાનજી ને મેલેરીયા તાવ આવ્યો , અને તેમાંથી ટાઈફોઈડ શરૂ થયો . આ બીમારી અઢી મહિના ચાલી . તાવ ઉતર્યા પછી શક્તિદાનજી એક મહિના સુધી રોયાજ કરતા . ભગવાનનાં ફોટા સામું જુએ અને રૂએ , ત્યારબાદ કુટુંબના સભ્યોને સમજાવે કે , હવે હું કૌટુંબીક જીવન જીવીશ તો જીવી શકીશ નહિ , માટે મને સાધુ થવાની રજા આપો , તમે સૌ જાણો છો , મારી બીમારી જીવણલેણ હતી . તે વખતે મેં નિર્ણય કર્યો હતો કે , આ બીમારીમાંથી બચી જાઉં તો સાંસારિક બધી , વસ્તુઓ છોડી સાધુ થઇ જઈશ . આવી રીતે કુટુંબના સભ્યો પાસેથી રજા લીધી . કુટુંબના સભ્યોની રજા લીધા બાદ તેઓ હરિહરાનંદજીના શિષ્ય રામેશ્વરાનંદજી પાસે ગયા અને કહ્યું “ મને હરિહરાનંદજી બાપુના ગુરુપદ નીચે સમાધી પાસે દિક્ષા અપાવો ” . પણ આ પ્રમાણે દિક્ષા લેવા દાવાની રામેશ્વરાનંદજીએ ના પાડી . તેમનો વિચાર હતો કે , “ શક્તિદાનજી મારી પાસે દિક્ષા લઈ મારા શિષ્ય થાય " પણ આ શક્તિદાનજી ને જરા પણ ગમે તેમ ના હતું . સન ૧૯૬૯ માં સંત શ્રી હરિહરાનંદજી બાપુની સમાધી પાસે મનોમન દિક્ષા ગ્રહણ કરી “ સ્વામી નારાયણ નંદ " એવું નામ ધારણ કર્યું . રાજકોટમાં મવડી રોડ પર ફુલીયા હનુમાનજી પાસે હરિહરાનંદજી નાં ગુરુભાઈ બટુક સ્વામી રહેતા . એ દેવ થયા ત્યાર પછી હરિહરાનંદજી બાપુના શિષ્ય મુક્તાનંદજી જગ્યા સંભાળતા , ત્યાંથી પૂ . નારાયણ બાપુ પરબવાળા હનુમાનજી ની જગ્યાએ આવ્યા . જ્યાં આશ્રમ સ્થાપ્યો . એક વર્ષ રહ્યા ત્યાં લીલાખાવાળા બાપુ પાસે આવતા . ત્યારબાદ એ આશ્રમ સીતારામ મહાત્માને સુપ્રત કર્યો . લીલાખાના ગ્રામજનો ના આગ્રહથી અને ગામના મુખ્ય આગેવાન શ્રી સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ આશ્રમ માટે પસંદ કર્યું . આ સ્થળે બે વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો . લીલાખામાં ગ્રામજનોએ નારાયણબાપુના નામથી કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું . આ લીલાખાનું આશ્રમ તેમણે હાઇસ્કુલ બનાવવા માટે નારાયણ કેળવણી મંડળ ટ્રસ્ટને ભેટ આપી દીધું . સને ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપશ્વર્યા આરંભી તેઓ આખો દિવસ ઉભા રહેતા અને એક જ વખત બટેટાની ભાજી લેતા . અને રાતના સંતવાણી ગાતા


શ્રી નારાયણબાપુ સામતભાઈનાં અતિ આગ્રહથી માતાજી સોનબાઈમાના દર્શને ગયા , સામતભાઈ એ માતાજી સોનબાઈમાને ખાનગીમાં નારાયણ બાપુના ઉપવાસ વિષે કહી દીધું હતું . જમવાના સમય પહેલા ૫. સોનબાઈમા એ નારાયણબાપુ ને કહ્યું “ હિંદુ ધર્મ પ્રમાણે માનવે ચાર ઋણ અદા કરવાના હોય છે . તમે મને માં કહો છો ચાર ઋણોમાં માતૃ ઋણ પણ છે , તે અદા કરવા તૈયાર થાઓ તો કહું ” .નારાયણ બાપુએ પુ . આઈ માં ને કહ્યું , હું ઋણ અદા કરવા તૈયાર છું . પૂ . આઈ માં એ ફરીથી વચન લીધા પછી કહ્યું , આજથી તમારી માની ઝુંપડીએ ઉપવાસના પારણા કરવાના છે " પૂ . બાપુએ શ્રી સોનાલમાં નો આદેશ વચન બધ્ધ થઇ સ્વીકારવો પડ્યો . આ વખતે નારાયણબાપુએ લીલાખા આશ્રમમાં પધારવા વિનંતી કરી . જેનો પૂ . માં એ સ્વીકાર કર્યો . ત્યારબાદ અમુક સમય પછી લીલાખા આશ્રમ છોડી પુ . નારાયણ બાપુને માંડવી ચંપલેશ્વર મહાદેવનાં ટ્રસ્ટે મંદિર અને આજુબાજુ મંદિરની માલિકીની જમીન અર્પણ કરી નારાયણ બાપુએ અહીં આશ્રમની સ્થાપના કરી ત્યારબાદ સને .૧૯૭૬ માં નારાયણ બાપુએ બિદડામાં આશ્રમ સ્થાપ્યો . તેનો વિકાસ કરી એક વર્ષ પછી તે આશ્રમ ગામને સુપ્રત કર્યો ! હરિદ્વારમાં માયાપુર ગણેશધાટ પાસે શ્રી નિરંજન અખાડા છે . ત્યાના સ્વામીશ્રી ઈશ્વરભારતીજી એ નારાયણબાપુને સ્વામીશ્રી નારાયણનંદ સરસ્વતી નામાથીદાન આપી ભગવા ધારણ કરાવ્યા . આ દિક્ષા મહોત્સવ વખતે મુંબઈવાળા શેઠ ફુલચંદભાઈ કોઠારી , હરી ભગત અને પ્રેમજીભાઈ હરિદ્વાર આવ્યા હતાં . સને ૧૯૭૮ માં પૂ . નારાયણ સ્વામીએ જુનાગઢમાં આશ્રમ સ્થાપ્યો . ત્યાં શિવરાત્રી ના પંદર દિવસ સંતવાણી અને હરિહરનો કાર્યક્રમ રાખવામાં આવે છે . પૂ . નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્નક્ષેત્ર ચલાવતા તેમાંથી બચત કરી ચપલેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા . ૬-૫-૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો . ત્યારબાદ ભારતમાં તેમજ દેશ - વિદેશમાં ભજન સંતવાણી નાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી . અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ . મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું . ત્યારે પુ . બાપુ પાસે ફક્ત રૂ .૧૦,૦૦૦ / - ની મૂડી હતી , અને આ ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને આ કથાનું આયોજન કર્યું આ કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી , અને પૂ . બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં ત્યારબાદ આ કથામાંથી જે કંઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું અને અમુક સમય જતા પુ . બાપુની તબિયત અવારનવાર બગડતી હતી . ત્યારે બાપુએ વિચાર કર્યો કે , “ હવે મારે આ આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોંપી દેવો જોઈએ . એક દિવસ આ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા . ત્યારબાદ ટૂંકાગાળામાંજ તો ૧૫-૯-૨૦૦૦ ની રાત્રે પૂ . નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને આદુનિયાને છેલ્લા જય નારાયણ “ કરી ગયા . સવારે ખબર પડતાની સાથે જ બધા લોકો આશ્રમે દોડી આવ્યા હતાં પ.પૂ. સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં.શ્રી પ્રદીપાનંદ સરસ્વતીજીએ પૂ . બાપુના બ્રહ્મલીન થયા પછી ખુબજ સારી રીતે આશ્રમનું સંચાલન કર્યું .

ત્યારબાદ ટૂંકાગાળા દરમ્યાન પ્રદીપાનંદ સરસ્વતીજી પણ બીમારીના કારણે બ્રહ્મલીન થયા . પ્રદીપાનંદ સરસ્વતીજીના બ્રહ્મલીન થયા પછી આશ્રમનું સંચાલન સંભાળી શકે તેવા કોઈ સાધુ ન હોવાથી આશ્રમ પૂ . સંતશ્રી બ્રહ્માનંદ ભારતી બાપુનો પરિચય થતાં ટ્રસ્ટીઓએ નિર્ણય કરી પૂ . શ્રી બ્રહ્માનંદ બાપુને આશ્રમ સંભાળવા વિનંતી કરી . આગ્રહ ને વશ થઈ ને પુ . શ્રી બ્રહ્માનંદ બાપુએ આશ્રમ નું સંચાલન સંભાળ્યું અને ટ્રસ્ટશ્રીઓએ તેમને ગાદીપતિ બનાવ્યા . પુ . શ્રી બ્રહ્માનંદ બાપુએ પોતાના સ્વ . ખર્ચે આશ્રમનું તેમજ ગૌશાળાનું નવનિર્માણ કરી પુ . નારાયણ બાપુની ઉપસ્થિતિનો સૌને અહેસાસ કરાવ્યો અને અત્યારે હાલ આશ્રમમાં ગૌશાળા તથા અન્નક્ષેત્રનું સંચાલન પુ . બ્રહ્માનંદ ભારતી ગુરૂ શ્રી પ્રેમભારતી બાપુ ( ઘાટવડ ) સંભાળી રહ્યા છે . આવી જ રીતે જુનાગઢ આશ્રમ બાપુના બ્રહ્મલીન થયા પછી પોતાના સ્વખર્ચે મકાનનું બાંધકામ પૂણાનું કામકાજ અને જુનાગઢ આશ્રમ જંગલખાતા ની હેરાનગતિ અને મુશ્કેલી વેઠીને પણ એક ગુરુની ઈચ્છા પૂરી કરવા અને જુનાગઢ આશ્રમ ફરી જીવંત કરવામાં ચારણનું ખોળિયું ધરી માં નવલબા એ મહત્વનું યોગદાન આપ્યું છે . અને જુનાગઢ આશ્રમ સંભાળી રહ્યા છે . હાલે શ્રી ચંપલેશ્વર મહાદેવ મંદિર શ્રી નારાયણ આશ્રમ માંડવી - કચ્છ મહંતશ્રી શ્યામભારતીજી બાપુ સંભાળી રહ્યા છે . 


                     જય નારાયણ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો